સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એક સરકારી બચત યોજના  છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાને બાળકીઓના શિક્ષણ અને લગ્ન માટે નાણાંકીય સહાયતા પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે. આ યોજના બેટી પઢાઓ બેટી બચાઓ યોજના અંતર્ગત ચાલુ કરવામાં આવી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી
Source : India Post

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ કોને મળે છે?

સુકન્યા સમૃદ્ધિ યોજનાના લાભ કોઇપણ ભારતીય નાગરિકની તાજી જન્મેલ બાળકીથી લઈ 10 વર્ષ પૂરા ન થયેલ હોય તેવી તમામ બાળકીઓને મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા શું કરવું?

સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવવાનું હોય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું કોણ ખોલી શકે?

ભારતીય નાગરિક હોય તેવી કોઈપણ 18 વર્ષ કે તેનાથી વધુ વયના 0 થી 10 વર્ષની બાળકીના માતા અથવા પિતા અથવા કાયદેસરના વાલી તેમની બાળકીના ભવિષ્યના નાણાંકીય આયોજન માટે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવવા શું કરવું?

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવવા ખાતું ખોલવાનું ફોર્મ, ડિપોઝિટ સ્લીપ અને KYC ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાનું હોય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  1. બાળકીના જન્મના દાખલાની ઝેરોક્ષ
  2. બાળકીના આધાર કાર્ડની ઝેરોક્ષ
  3. બાળકીના માતા/પિતાની આધાર કાર્ડની ઝેરોક્ષ
  4. બાળકીના માતા/પિતાની પાન કાર્ડની ઝેરોક્ષ (જો પાન કઢાવેલ ન હોય તો ખાતું ખોલાવ્યા બાદ 6 મહિનાની અંદર ફરજિયાત જમા કરાવવું)
  5. બાળકીના માતા પિતાનું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં બાળકીના કાયદેસરના વાલીના આધાર કાર્ડ અને પાન કાર્ડ

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલવા કેટલા રૂપીયા જમા કરવાના હોય છે?

સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા માટે ઓછામાં ઓછામાં 250 રૂપીયા જમા કરવાના હોય છે. ખાતું ખોલાવ્યા પછી 50 રૂપિયાના ગુણાંકમાં કોઈપણ મહિને અને કોઈપણ તારીખે 50 રૂપિયાથી લઈ 150000 રૂપિયા સુધી જમા કરી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વર્ષમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા રૂપિયા જમા કરાવવાના હોય છે?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નાણાંકીય વર્ષમાં (એપ્રિલ થી માર્ચ) ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવાના હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 1 લાખ 50 હજાર રૂપિયા જમા કરી શકાય છે. સુકન્યા ખાતામાં નાણાંકિય વર્ષ દરમિયાન 250 રૂપિયા જમા ન કરવામાં આવે તો નાણાંકીય વર્ષદીઠ 50 રૂપિયા દંડ લાગે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેટલા વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે?

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવ્યા તારીખથી 15 વર્ષ સુધી પૈસા જમા કરવાના હોય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ક્યારે પાકે છે?

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવ્યા તારીખથી 21 વર્ષે ખાતું પરિપક્વ થાય છે. ખાતું પરિપક્વ થાય ત્યારે ખાતામાં જમા રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે પરત મળે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું પરિપક્વ થાય તે પહેલા પૈસા ઉપાડી શકાય?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું પરિપક્વ થાય તે પહેલા ફ્કત નીચેના સંજોગામાં પૈસા ઉપાડી શકાય છે.

બાળકીના અભ્યાસ માટે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બાળકીના 18 વર્ષ થાય ત્યારે તેના ઉચ્ચ અભ્યાસ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જમા રકમના 50% રકમ સુધીનો ઉપાડ કરી શકાય છે.

બાળકીના લગ્ન માટે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બાળકીના 18 વર્ષ થાય ત્યારે બાળકીના લગ્ન તારીખથી 30 દિવસ પહેલા અથવા અથવા લગ્ન તારીખથી 90 દિવસની અંદર પૈસા ઉપાડી શકાય છે.

ઉદાહરણ : X નામની બાળકીના 18 વર્ષ પૂરા થઈ ગયા છે અને તેની લગ્ન તારીખ 30 જૂન છે. આ કિસ્સામાં 1 જૂનથી લઈ 30 સપ્ટેમ્બર સુધીમાં પૈસા ઉપાડી શકાય છે.

બાળકીનું અવસાન થાય ત્યારે
સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલાવેલ બાળકીનું અવસાન  થાય ત્યારે તેના વાલીએ ફરજિયાત સુકન્યા ખાતું બંધ કરાવવાનું હોય છે. બાળકીના અવસાન તારીખ પછીની તારીખથી સુકન્યા યોજનાનું વ્યાજ મળવાપાત્ર નથી અને સેવિંગ ખાતાનું વ્યાજ મળવાપાત્ર છે.


સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું કેટલી બાળકીઓ માટે ખોલી શકાય છે?

કોઈપણ માતા અને પિતા વધુમાં વધુ તેમની 2 બાળકીઓ માટે જ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું ખોલી શકે છે પરંતુ જુડવા અને અવસાનના કિસ્સામાં 2 કરતાં વધુ બાળકીઓના  ખાતા ખોલી શકે છે.


ઉદાહરણ : કોઈ X વ્યક્તિના ઘરે પહેલી વખત 2 જુડવા બાળકીઓનો જન્મ થાય છે, બીજી વખત 3 જુડવા બાળકીઓનો જન્મ થાય છે અને ત્રીજી વખત 1 બાળકીનો જન્મ થાય છે. આ કિસ્સામાં પ્રથમ 2 જુડવા બાળકીઓના 2 સુકન્યા ખાતા ખોલી શકાશે. ત્યારબાદ ફરીથી 3 જુડવા બાળકીઓનો જન્મ થાય છે ત્યારે ફરીથી 3 સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલી શકાશે પરંતુ ત્રીજી બાળકીનું સુકન્યા ખાતું ખોલી શકાશે નહીં. આ ઉપરાંત પ્રથમ વખતની 2 જુડવા બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવેલ છે પરંતુ બીજી વખતની કોઇપણ બાળકીઓના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવેલ નથી. આવા કિસ્સામાં ત્રીજીવાર જન્મેલ બાળકીનું સુકન્યા ખાતું ખોલી શકાશે. પરંતુ પહેલી વખતે જન્મેલ 1 બાળકીનું, બીજી વખત જન્મેલ 1 બાળકીનું ખાતું ખોલેલ હશે તેવા કિસ્સામાં પણ ત્રીજીવાર જન્મેલ બાળકીનું ખાતું ખુલી શકશે નહીં. ટૂંકમાં એક સાથે ગમે તેટલી બાળકીઓ જન્મે તેમની ગણતરી 1 બાળકી તરીકે જ લેવામાં આવશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાના અન્ય લાભ

  • આવકવેરાની કલમ 80C અંતર્ગત નાણાંકીય વર્ષ દરમિયાન સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જમા કરાવેલ રકમ ઇન્કમટેક્સમાં બાદ કરવામાં આવે છે.
  • 8.2% જેટલો ઉચ્ચત વ્યાજદર
  • સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જમા કરાવેલ રકમ સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમાં શેર બજાર જેવા જોખમો સામેલ નથી.

Post a Comment

0 Comments